અમદાવાદ: રાજ્યમાં નૈઋત્ય ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોવા છતાં વરસાદની ગતિ હજુ ધીમી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું હાલમાં સુરત નજીક સ્થિર છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થયા બાદ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 10 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાં પડ્યાં હતા. કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ઉમરગામમાં 10 મીમી, વાપીમાં 9 મીમી, વલસાડમાં 7 મીમી, નર્મદાના સાગબારામાં 4 મીમી તેમજ સુરેન્દ્રનગરના ચૂડા અને બનાસકાંઠાના દીપોદરમાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, ઉત્તર અરબી સમુદ્ર, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે.
હાલની આગાહી મુજબ રાજ્યમાં 2 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે સક્રિય રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડતાં ભારે વરસાદની શક્યતાઓ ઘટી છે.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ચોમાસાના વરસાદના માત્ર 2.88 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કુલ 909 મીમીની સરેરાશ સામે અત્યાર સુધી માત્ર 26.18 મીમી વરસાદ પડ્યો છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત—તમામ વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો નોંધાયો છે.
ચોમાસાની આ ધીમી ગતિને કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. જો આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે તો વાવણીની કામગીરી પર અસર પડી શકે છે. સાથે જ વરસાદ વધુ મોડો પડે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની અછતની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.









