નેપાળમાં વિનાશક પૂર અને ભારે તબાહી વચ્ચે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોટેકોશી વિસ્તારમાં પૂરનાં પાણીમાં તણાઈને ત્રિશૂલી નદીના કિનારે આવેલી એક તિજોરીને તોડી તેમાંથી રૂ.92.68 લાખની રોકડ ચોરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 29 લોકોને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.92,68,505ની રોકડ રકમ રિકવર કરી હોવાનું જણાવાયું છે. પકડાયેલા મોટાભાગના લોકો ધાડિંગ તથા આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ રિકવર થયેલી રોકડ રકમના વાસ્તવિક માલિકની ઓળખ મેળવવા તપાસ કરી રહી છે.
પૂર વચ્ચે મૃતદેહ પરથી સોનાની બુટ્ટી ચોર્યાનો આરોપ
આફત વચ્ચે વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. નારાયણી નદીમાં તણાઈને આવેલા એક મૃતદેહમાંથી સોનાની બુટ્ટી ચોરવાના આરોપસર પોલીસે અન્ય બે લોકોને પણ ઝડપી પાડ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બંને શખ્સો પૂરનાં પાણીમાં તણાઈને આવેલી મૃત મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી કાઢતા જોવા મળ્યા હોવાનું જણાવાયું છે.
નેપાળમાં એક તરફ વિનાશક પૂરથી અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આવી કુદરતી આફત વચ્ચે લૂંટ અને મૃતદેહ પરથી દાગીના ચોરવાની ઘટનાઓ સામે આવતા ભારે ચકચાર ફેલાઈ છે.









