નવસારી: ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. NDRF, SDRF, ભારતીય સેના અને સ્થાનિક તરવૈયાઓના સંયુક્ત પ્રયાસોથી 14 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્રે રાતભર સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. રાહત શિબિરોમાં ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સેવા સહિત તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ભારતીય સેના સહિત તમામ બચાવ દળો અને સ્થાનિક તરવૈયાઓના સંકલિત પ્રયાસોથી રાહત કામગીરીને વધુ ગતિ મળી છે. જિલ્લા તંત્ર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા તેમજ જરૂર પડે ત્યારે સ્થળાંતર માટે તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.









