રૂ.450 કરોડની કથિત અઘોષિત આવક મામલે ટેક્સ, દંડ અને વ્યાજ વસૂલવાની પ્રક્રિયા તેજ; કેસ મુખ્યાલયની મંજૂરી માટે મોકલાયો
લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાન તથા તેમના પરિવાર સાથે જોડાયેલા જૌહર ટ્રસ્ટ સામે આવકવેરા વિભાગે કાર્યવાહી વધુ તેજ કરી છે. ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન રદ કર્યા બાદ હવે આશરે રૂ.450 કરોડની કથિત અઘોષિત આવક મામલે ટેક્સ, દંડ અને વ્યાજની વસૂલાતની તૈયારી શરૂ કરવામાં આવી છે. અહેવાલો મુજબ આ વસૂલાતનો કુલ આંકડો રૂ.500 કરોડથી વધુ થઈ શકે છે.
આવકવેરા વિભાગની તપાસમાં ટ્રસ્ટની નાણાકીય કામગીરી અંગે અનેક અનિયમિતતાઓ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કથિત રીતે ડમી ટ્રસ્ટીઓની નિમણૂક, દાનની રકમ અને ટ્રસ્ટની નાણાકીય વિગતોમાં વિસંગતતા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. વિભાગે ટ્રસ્ટને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અનેક તક આપી હતી.
તપાસ દરમિયાન ટ્રસ્ટની જાહેર કરાયેલી આવક અને બેન્ક ખાતામાં જમા રકમ વચ્ચે પણ તફાવત નોંધાયો હોવાના અહેવાલ છે. 2020-21થી 2023-24 દરમિયાન ટ્રસ્ટે આશરે રૂ.38.54 કરોડની આવક દર્શાવી હતી, જ્યારે બેન્ક ખાતાઓમાં આશરે રૂ.97.79 કરોડ જમા થયાનું તપાસ અહેવાલોમાં જણાવાયું છે.
જૌહર યુનિવર્સિટીના બાંધકામ અને તેના ખર્ચ અંગે પણ આવકવેરા વિભાગે સવાલો ઉઠાવ્યા છે. ટ્રસ્ટની નાણાકીય સ્થિતિ, દાનની રકમ અને યુનિવર્સિટી સાથે જોડાયેલા ખર્ચ અંગે વિભાગે દસ્તાવેજો અને સ્પષ્ટતા માગી હતી. જૂન 2026માં વિભાગે ટ્રસ્ટનું 12AB રજિસ્ટ્રેશન અને આવકવેરા છૂટ રદ કરી હતી.
હવે રૂ.450 કરોડની કથિત અઘોષિત આવકના આધારે ટેક્સ, દંડ અને વ્યાજની વસૂલાત અંગે આગળની કાર્યવાહી માટે મામલો નવી દિલ્હી સ્થિત આવકવેરા વિભાગના મુખ્યાલય સમક્ષ મોકલવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ જૌહર ટ્રસ્ટ અને જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો, દસ્તાવેજો અને સંબંધિત લોકોની તપાસ કરી રહ્યું છે.









