મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું ભૂકંપ! ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો શિંદે જૂથમાં સામેલ

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. શિવસેના (UBT)ના છ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાતા રાજ્યની રાજકીય ગણિતમાં મહત્વપૂર્ણ ફેરફાર સર્જાયો છે.

શિંદે જૂથમાં જોડાયેલા સાંસદોમાં સંજય દિના પાટિલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, પાટીલ-અષ્ટિકર અને ઓમપ્રકાશ રાજેનિંબાકરનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ તાજેતરમાં જ શિંદે સાથે મુલાકાત કરી પક્ષમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાંસદોએ 17 જૂને દિલ્હીમાં યોજાયેલી શિવસેના (UBT)ની સંસદીય પક્ષની બેઠકમાં હાજરી આપી નહોતી. ત્યારથી જ તેમના આગામી રાજકીય પગલાં અંગે અટકળો શરૂ થઈ હતી. હવે તેઓ શિંદે જૂથમાં સામેલ થતાં આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

એકનાથ શિંદેએ નવા જોડાયેલા સાંસદોનું સ્વાગત કરતાં જણાવ્યું કે પક્ષની વિચારધારા અને વિકાસલક્ષી અભિગમથી પ્રભાવિત થઈ અનેક નેતાઓ શિવસેનામાં જોડાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આ જોડાણથી સંગઠન વધુ મજબૂત બનશે અને જનતા વચ્ચે પક્ષની પહોંચ વધશે.

ઉદ્ધવ ઠાકરે માટે આ ઘટનાને રાજકીય રીતે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શિવસેનામાં થયેલા વિભાજન બાદ સતત નેતાઓ અને જનપ્રતિનિધિઓના સ્થળાંતરે પક્ષ માટે નવા પડકારો ઊભા કર્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાની અસર માત્ર સંસદીય રાજકારણ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને આગામી ચૂંટણીના રાજકીય સમીકરણો પર પણ તેની અસર પડી શકે છે.

હાલ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં આ ઘટનાની જોરદાર ચર્ચા ચાલી રહી છે અને આગામી દિવસોમાં અન્ય નેતાઓ પણ પક્ષપલટો કરે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.

Leave a Comment

Traffic Tail