રાજકોટ: સૌરાષ્ટ્રમાં મગફળીની ઓછી આવક અને બજારમાં પુરવઠો ઘટતા સિંગતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તહેવારો નજીક આવતા ખાદ્યતેલના વધતા ભાવને કારણે સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર વધારાનો બોજ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસમાં 15 કિલોના સિંગતેલના ડબ્બામાં રૂ. 50નો વધારો નોંધાયો છે. જેના કારણે સિંગતેલનો ભાવ વધીને રૂ. 2,820 પ્રતિ ડબ્બા સુધી પહોંચી ગયો છે.
સિંગતેલ ઉપરાંત અન્ય ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બામાં રૂ. 30નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,670 થયો છે. ઉપરાંત પામોલીન, સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, મગફળીની ઓછી આવક અને મર્યાદિત સ્ટોકને કારણે બજારમાં ભાવ ઊંચા રહ્યા છે. જો આગામી દિવસોમાં બજારમાં પુરવઠો નહીં વધે તો ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
બજારના જાણકારોના મતે, જો નાફેડ દ્વારા મગફળીનું વેચાણ શરૂ કરવામાં આવશે તો બજારમાં પુરવઠો વધશે અને સિંગતેલના ભાવમાં સ્થિરતા આવી શકે છે. હાલ તહેવારો પહેલાં ખાદ્યતેલના વધતા ભાવને લઈને ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.









