નવી દિલ્હી: નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી બ્રિક્સ શિખર પરિષદના એક દિવસ પહેલાં, શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. બંને નેતાઓ વચ્ચે વેપાર, આર્થિક સહયોગ અને લશ્કરી ભાગીદારી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, મોદી અને પુતિન વચ્ચે અત્યંત ગાઢ અને વ્યવહારુ સંબંધો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોની આશંકા વચ્ચે બંને નેતાઓ સંવેદનશીલ મુદ્દાઓ પર રચનાત્મક રીતે ચર્ચા કરશે.
રશિયાએ ભારત સાથેના આર્થિક અને સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તૈયારી દર્શાવી છે. પેસ્કોવના જણાવ્યા મુજબ, રશિયા બ્રિક્સ દેશો સાથેના આશરે 90 ટકા વેપાર માટે રાષ્ટ્રીય કરન્સીનો ઉપયોગ કરે છે. અમેરિકી ડોલર પર નિર્ભરતા ઘટાડવાનો નિર્ણય કોઈ વિરોધના ભાગરૂપે નહીં, પરંતુ રશિયાના આર્થિક હિતમાં લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
S-400 અને સુખોઈ-57 અંગે પણ ચર્ચા
મુલાકાત દરમિયાન ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમની સમયસર ડિલિવરી તેમજ અત્યાધુનિક Su-57 ફાઇટર જેટની ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત ઉત્પાદન અંગે પણ ચર્ચા થઈ શકે છે.
યુક્રેન મુદ્દે ભારતના વલણનું રશિયાએ કર્યું સ્વાગત
યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે રશિયાએ ભારતના શાંતિપૂર્ણ વલણની પ્રશંસા કરી છે. યુક્રેન યુદ્ધને લઈને વાટાઘાટો ફરી શરૂ કરવાના અમેરિકા અને ભારતના પ્રયાસોને પણ રશિયાએ આવકાર્યા છે.
આ ઉપરાંત, રશિયન સેનામાં સામેલ થયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે વહેલી તકે ભારત પરત મોકલવા માટે રશિયન સરકારે યાદી તૈયાર કરી હોવાનું જણાવાયું છે. આ મુદ્દે ભારત સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો હોવાની પણ રશિયાએ ખાતરી આપી છે.









