નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના મહત્વપૂર્ણ સંગઠનાત્મક પ્રવાસે જઈ રહ્યા છે. 4 અને 5 જુલાઈએ તેઓ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બે દિવસીય મુલાકાત કરશે, જ્યારે 6 અને 7 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે.
લખનઉ પ્રવાસ દરમિયાન નીતિન નબીન વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનની તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ બૂથ સ્તર સુધી પક્ષનું માળખું વધુ મજબૂત બનાવવા માટે વિવિધ બેઠકો યોજશે તેમજ આગામી ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપશે.
આ દરમિયાન તેઓ ભાજપના પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો સાથે અલગ-અલગ બેઠક કરશે. ઉપરાંત અવધ ક્ષેત્રના શક્તિ કેન્દ્ર સંયોજકોના સંમેલનને પણ સંબોધશે, જેમાં બૂથ સશક્તિકરણ અને જનસંપર્ક અભિયાનને વધુ અસરકારક બનાવવા અંગે દિશાનિર્દેશ આપવામાં આવશે.
ભાજપના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પ્રવાસ કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કરશે અને ચૂંટણીલક્ષી તૈયારીઓને વધુ ગતિ આપશે. તમામ કાર્યક્રમો માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની મુલાકાત પૂર્ણ કર્યા બાદ નીતિન નબીન 6 અને 7 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસે જશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાશ્મીરની આ તેમની પ્રથમ મુલાકાત રહેશે. આ દરમિયાન તેઓ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતિ નિમિત્તે 6 જુલાઈએ યોજાનારી જાહેર સભાને સંબોધશે તેમજ સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને પ્રદેશમાં પક્ષના વિસ્તરણ અને આગામી કાર્યક્રમોની સમીક્ષા કરશે.









