સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં તપાસ, તબીબોએ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન ગણાવી
ઇસ્લામાબાદ: પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. 6 ડોક્ટરોની ટીમે તેમના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ તેમને ફરી અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ, તબીબી તપાસ બાદ ડોક્ટરોએ ઈમરાન ખાનને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું હતું. તબીબોના અભિપ્રાય મુજબ તેમને જેલ કસ્ટડીમાં રાખવા સુરક્ષિત છે. ત્યારબાદ જેલ પ્રશાસન દ્વારા તેમને પરત જેલમાં મોકલવામાં આવ્યા હતા.
અગાઉ ઈમરાન ખાનની તબિયતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે હોસ્પિટલમાં તપાસ અને જરૂરી સારવારનો આદેશ આપ્યો હતો. શાહબાઝ શરીફ સરકારે આ નિર્ણય સામે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જોકે રજીસ્ટ્રાર કાર્યાલયે વાંધા સાથે અરજી પરત કરી હતી.
દરમિયાન ઈમરાન ખાનને બની ગાલા ખસેડવા અને વિદેશમાં સારવાર કરાવવાના વિકલ્પો અંગે પણ ચર્ચા થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ PTI દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જેલની પરિસ્થિતિ ઈમરાન ખાનના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહી છે.
હાલમાં 6 ડોક્ટરોની ટીમની તપાસ બાદ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોવાનું સ્પષ્ટ થતાં ઈમરાન ખાનને ફરી અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય અંગે આગળ પણ તબીબી દેખરેખ ચાલુ રહેવાની શક્યતા છે.









