અલ નીનોની અસરથી ચોમાસું નબળું પડ્યું; 2009 બાદ સૌથી નબળા ચોમાસાની શક્યતા, ખાદ્ય મોંઘવારીમાં પણ વધારો
ભારતમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ જૂનથી અત્યાર સુધી દેશમાં સામાન્ય કરતાં આશરે 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જો સિઝનના અંત સુધી વરસાદની આ ઘટ યથાવત રહે છે, તો 2009 બાદ આ વર્ષનું ચોમાસું સૌથી નબળું સાબિત થઈ શકે છે. 2009માં સામાન્ય કરતાં 18 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
અલ નીનોની અસર વચ્ચે વરસાદનું પ્રમાણ અને વિતરણ બંને પ્રભાવિત થયા છે. ચોમાસાની ઘટની સીધી અસર ખેતી પર પડી શકે છે. દેશમાં ચોખા, ખાંડ અને કપાસ જેવા મુખ્ય પાકોના ઉત્પાદન માટે મોસમી વરસાદ મહત્વપૂર્ણ છે અને મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહે છે.
નબળા ચોમાસાની અસર માત્ર ચાલુ ખરીફ પાક પૂરતી મર્યાદિત નથી. જમીનમાં ભેજ અને જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા ઘટવાથી આગામી રવિ સિઝનની વાવણી પર પણ અસર થવાની ચિંતા છે. વરસાદની અછતને કારણે કૃષિ ઉત્પાદન પર દબાણ વધે તો તેની અસર ખાદ્ય ચીજોના ભાવ પર પણ પડી શકે છે.
ખાદ્ય મોંઘવારી 5.95%એ પહોંચી
ઓછા વરસાદ વચ્ચે ખાદ્ય મોંઘવારીમાં પણ વધારો નોંધાયો છે. ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી વધીને 5.95 ટકા થઈ હતી. અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ વરસાદમાં દર એક ટકાની ઘટ ખાદ્ય મોંઘવારીમાં આશરે 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.
ભાવ નિયંત્રણ માટે સરકારે ખાંડના પુરવઠાને જાળવવા ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. કેટલાક રાજ્યોમાં સબસિડીવાળા ભાવે ડુંગળીનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.
સપ્ટેમ્બરના અંતે વરસાદની આશા
આંતરરાષ્ટ્રીય હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં ચક્રવાત માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે. જો સિસ્ટમ વિકસે તો પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ મળી શકે છે.
જોકે, આ વરસાદથી સ્થાનિક વિસ્તારોને રાહત મળી શકે છે, પરંતુ સમગ્ર દેશના મોસમી વરસાદની ઘટમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે. નિષ્ણાતોના અનુમાન મુજબ સિઝનના અંતે દેશમાં વરસાદની ઘટ આશરે 13થી 16 ટકાની વચ્ચે રહી શકે છે.









