બ્રિકસથી ભારતને શું ફાયદો? કોંગ્રેસમાં જ સવાલ-જવાબ
ભારતમાં આવતીકાલથી શરૂ થનારા બ્રિકસ શિખર સંમેલન પહેલાં કોંગ્રેસમાં જ આ સંગઠનને લઈને અલગ-અલગ મત સામે આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે બ્રિકસ સહિતના વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતની ભાગીદારીથી દેશને મળતા લાભ અંગે સવાલ ઉઠાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે બ્રિકસનું સમર્થન કરીને તેને ભારત માટે મહત્વપૂર્ણ વૈશ્વિક મંચ ગણાવ્યો છે.
ચિદમ્બરમે કહ્યું કે જી-20, ક્વાડ, બ્રિકસ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન જેવી બેઠકોમાં ભારત ભાગ લે છે, પરંતુ આવી ગતિવિધિઓથી ભારતને વાસ્તવમાં કેટલો લાભ મળ્યો છે તે અંગે વિચારવાની જરૂર છે. તેમના મતે દેશના હિતોને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિ નક્કી થવી જોઈએ.
જ્યારે શશી થરૂરે કહ્યું કે બ્રિકસ માત્ર ઔપચારિક આયોજન નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની રાજદ્વારી ક્ષમતા દર્શાવવાની મહત્વપૂર્ણ તક છે. બ્રિકસમાં વિશ્વની મોટી વસ્તી અને વૈશ્વિક અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવતા દેશો સામેલ છે. આવા દેશો સાથે સંવાદ અને સતત સંપર્ક ભારત માટે મહત્વપૂર્ણ છે.
થરૂરે વધુમાં જણાવ્યું કે વૈશ્વિક મુદ્દાઓ પર બ્રિકસના દેશો ભારતની સાથે આવે તે ભારતના હિતમાં છે. આમ, બ્રિકસ સંમેલન પહેલાં જ કોંગ્રેસમાં આ મુદ્દે બે અલગ-અલગ અભિપ્રાય સામે આવતા રાજકીય ચર્ચા તેજ બની છે.









