રાજકોટ: લોકપ્રિય લોકસાહિત્યકાર અને કલાકાર માયાભાઈ આહીરનો એક કાર્યક્રમ દરમિયાન આપેલો નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ અધિકારીઓના સન્માન માટે આયોજિત કાર્યક્રમમાં જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની પ્રશંસા કરતાં માયાભાઈ આહીર દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે તેમના નિવેદનથી નિયમિત ટેક્સ ચૂકવતા સામાન્ય નાગરિકોની લાગણી દુભાઈ છે.
આ મુદ્દે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોએ માયાભાઈના નિવેદનની ટીકા કરીને તેને “અજ્ઞાનતા” ગણાવી છે, જ્યારે અન્ય કેટલાક લોકોએ તેમના નિવેદનનો અલગ અર્થ કાઢીને સમર્થન પણ વ્યક્ત કર્યું છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે અનેક યુઝર્સે જણાવ્યું છે કે દેશના નાગરિકો જીવનના વિવિધ તબક્કે સીધા અને પરોક્ષ રીતે કર ચૂકવે છે, તેથી તેમના યોગદાનને ઓછું આંકવું યોગ્ય નથી.
જોકે, આ સમગ્ર વિવાદ અંગે માયાભાઈ આહીર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા અથવા પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.









