તમિલનાડુના પેરમ્બલુર નજીક ચેન્નાઈ-તિરુચિરાપલ્લી હાઇવે પર ઘટના; બસ બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી
પેરમ્બલુર (તમિલનાડુ): ચેન્નાઈ-તિરુચિરાપલ્લી નેશનલ હાઇવે પર દોડતી ખાનગી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે ડ્રાઇવરે અસાધારણ સતર્કતા દાખવી બસને તાત્કાલિક રોડની સાઇડમાં ઊભી રાખી તમામ 23 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતાં મોટી જાનહાનિ ટળી હતી.
માહિતી મુજબ, બસ મુસાફરી દરમિયાન પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોઈ ડ્રાઇવરે તરત જ વાહન રોકી મુસાફરોને બહાર નીકળવાની સૂચના આપી હતી. થોડા જ સમયમાં આગે સમગ્ર બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને જોતજોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. લાંબા પ્રયત્નો બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા પહોંચી નથી. પ્રાથમિક તપાસમાં બસમાં શોર્ટ સર્કિટ અથવા યાંત્રિક ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે અને ફાયર વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે.
ડ્રાઇવરની સમયસરની કાર્યવાહી અને હાજરજવાબી નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું અધિકારીઓએ પણ જણાવ્યું છે.









