કેન્દ્ર સરકારે ચાર વર્ષથી લાગુ ઘઉંની નિકાસબંધી એકાએક દૂર કરી દીધી છે. 24 ઓગસ્ટે જારી કરાયેલા DGFTના નોટિફિકેશન બાદ ઘઉં તેમજ ઘઉંના લોટ અને સંબંધિત ઉત્પાદનોની નિકાસને ‘પ્રતિબંધિત’માંથી ‘ફ્રી’ કેટેગરીમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.
ઘઉંની નિકાસને ખુલ્લી છૂટ મળ્યા બાદ હવે સ્થાનિક બજારમાં ભાવ વધવાની શક્યતા અંગે ચર્ચા શરૂ થઈ છે. વેપારીઓના મતે જો વિદેશી માંગ વધશે અને સ્થાનિક પુરવઠા પર તેની અસર પડશે તો ઘઉંના ભાવમાં તેજી આવી શકે છે. જોકે વાસ્તવિક ભાવવધારો દેશનો સ્ટોક, નવી સિઝનનું ઉત્પાદન અને વૈશ્વિક બજારના ભાવ પર નિર્ભર રહેશે.
ઘઉં ઉપરાંત આટા, મૈદા, રવા, સોજી, હોલવીટ આટા અને રિઝલ્ટન્ટ આટા જેવી બનાવટોની નિકાસ પરના નિયંત્રણો પણ હટાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધો 2022માં ઘરેલુ ઉપલબ્ધતા અને ભાવને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવ્યા હતા.
ભારતીય ઘઉં માટે વિદેશી બજારમાં માંગ વધવાની સંભાવના પણ છે. ખાસ કરીને બાંગ્લાદેશ સહિતના દેશોમાંથી ભારતીય ઘઉંની માંગ મજબૂત હોવાના અહેવાલો છે.
ખાંડના ભાવ કાબૂમાં લેવા આયાતી ખાંડના નિયમો કડક
બીજી તરફ ખાંડના વધતા ભાવને કાબૂમાં લેવા સરકારે આયાતી કાચી ખાંડ અંગેના નિયમો વધુ કડક બનાવ્યા છે. સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે અને હવે આયાતકારોએ બંદર પર બિલ ઓફ એન્ટ્રી દાખલ કર્યાની તારીખથી બે મહિનાની અંદર કાચી ખાંડને રિફાઈન કરીને દેશમાં વેચવી પડશે.
સરકારનો હેતુ આયાતી ખાંડ બંદરો કે ગોડાઉનમાં લાંબા સમય સુધી પડી ન રહે અને સંગ્રહખોરી અટકાવીને બજારમાં તેનો પુરવઠો ઝડપથી વધારવાનો છે. તહેવારોની મોસમ પહેલાં ખાંડના ભાવમાં થયેલા ઉછાળાને કાબૂમાં લેવા આ પગલું મહત્વનું માનવામાં આવે છે.
ખાંડના ભાવ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધ્યા છે. સરકારની 10 લાખ ટન આયાતની મંજૂરીનો મુખ્ય હેતુ સ્થાનિક બજારમાં પુરવઠો વધારીને ભાવ પરનું દબાણ ઘટાડવાનો છે.
આમ, એક તરફ ઘઉંની નિકાસ છૂટથી સ્થાનિક ભાવમાં તેજીની શક્યતા છે, તો બીજી તરફ ખાંડની આયાત અને કડક સ્ટોક નિયમો દ્વારા સરકાર ભાવને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હવે તહેવારો પહેલાં ઘઉં અને ખાંડના ભાવ સામાન્ય ગ્રાહકોને રાહત આપે છે કે મોંઘવારીનો વધુ એક ઝટકો આપે છે, તેના પર બજારની નજર રહેશે.









