નવી દિલ્હી: પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના વરિષ્ઠ કમાન્ડર રિઝવાન હનીફે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સંગઠનના 30થી વધુ આતંકીઓ ટાર્ગેટેડ હુમલાઓમાં માર્યા ગયા છે. તેણે આ ઘટનાઓ માટે ભારતીય જાસૂસી એજન્સીઓને જવાબદાર ઠેરવી છે, જોકે પોતાના દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રિઝવાને જણાવ્યું કે કરાચી, પેશાવર, રાવલપિંડી અને મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં લશ્કર સાથે જોડાયેલા અનેક લોકો પર અજાણ્યા હુમલાખોરોએ હુમલા કર્યા હતા.
ભારત સરકાર અગાઉ પણ આવા તમામ આરોપોને નિરાધાર અને આધારવિહોણા ગણાવી ચૂકી છે. રિઝવાન હનીફ આતંકી ભરતી અને સરહદ પાર ઘુસણખોરીમાં સંડોવાયેલો મુખ્ય ચહેરો માનવામાં આવે છે.
વિડિયોમાં તેણે ઉશ્કેરણીજનક નિવેદનો પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ દાવાઓ બાદ પાકિસ્તાનમાં કાર્યરત આતંકી સંગઠનોમાં સુરક્ષાને લઈને ચિંતા અને ભયનું વાતાવરણ વધુ ગાઢ બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.









