મુંબઈમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો: તાવ-શરદીના કેસમાં વધારો, લેપ્ટોસ્પાયરોસિસને લઈને આરોગ્ય તંત્રની ચેતવણી

મુંબઈ: ભારે વરસાદ બાદ મુંબઈમાં તાવ, શરદી અને ખાંસીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં ઇન્ફ્લુએન્ઝા-એ સહિત શ્વાસ સંબંધિત ચેપજન્ય રોગોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ડોક્ટરોએ ચેતવણી આપી છે કે ચોમાસામાં આવતા દરેક તાવને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન માની લેવું જોખમી સાબિત થઈ શકે છે. વરસાદી પાણીમાં ફેલાતી લેપ્ટોસ્પાયરોસિસ નામની બેક્ટેરિયલ બીમારી પણ આ દિવસોમાં ગંભીર ચિંતાનો વિષય બની છે.

આ રોગ મુખ્યત્વે ઉંદર, કૂતરા અને અન્ય પ્રાણીઓના પેશાબથી દૂષિત થયેલા પાણી અથવા કાદવના સંપર્કમાં આવવાથી ફેલાય છે. શરીર પરના નાના ઘા, ચીરા અથવા આંખ, નાક અને મોઢા મારફતે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી શકે છે. વરસાદી પાણી ભરાવા અને ગંદકીના કારણે ઉંદરોની સંખ્યા વધતાં આ રોગનો ખતરો વધુ વધી જાય છે.

લેપ્ટોસ્પાયરોસિસના શરૂઆતના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય છે. દર્દીને અચાનક તાવ, માથાનો દુખાવો, પિંડલીઓ અને કમરના ભાગમાં સ્નાયુઓમાં દુખાવો, ઉલટી તેમજ આંખો લાલ થવા જેવા લક્ષણો જોવા મળી શકે છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ સમયસર સારવાર ન મળે તો ચેપ લિવર, કિડની અને ફેફસાંને ગંભીર અસર પહોંચાડી શકે છે. જોકે સમયસર નિદાન અને યોગ્ય એન્ટિબાયોટિક સારવારથી આ રોગ સંપૂર્ણપણે નિયંત્રિત થઈ શકે છે.

ડોક્ટરોએ લોકોને વરસાદી પાણીમાં બિનજરૂરી જવાનું ટાળવા, જરૂર પડે ત્યારે વોટરપ્રૂફ બૂટ પહેરવા, શરીર પરના ઘાને ઢાંકી રાખવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. વરસાદી પાણીના સંપર્ક બાદ તાવ કે અન્ય લક્ષણો જણાય તો સ્વઇલાજ કરવાના બદલે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail