અમેરિકી વિદેશ વિભાગે ચેતવણી આપી છે કે ભારતીય અરજદારો માટે EB-1 ગ્રીન કાર્ડ કેટેગરીમાં ઉપલબ્ધ વીઝા સંખ્યા નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં ખતમ થઈ શકે છે. વધતી અરજીઓ અને ભારે માંગને કારણે આગામી અઠવાડિયામાં આ કેટેગરી અસ્થાયી રીતે અનુપલબ્ધ થઈ શકે છે.
સપ્ટેમ્બર વીઝા બુલેટિન મુજબ, ભારત માટે EB-1 કેટેગરીમાં ઉપલબ્ધ વીઝાની સંખ્યા 30 સપ્ટેમ્બરે નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં પૂરી થવાની શક્યતા છે. જો એવું થાય તો કેટેગરીને અસ્થાયી રીતે બંધ કરવી પડી શકે છે. વિદેશ વિભાગે સ્થિતિ પર સતત નજર રાખવાની વાત કરી છે.
EB-1 કેટેગરીમાં કોણ આવે છે?
EB-1 રોજગાર આધારિત પ્રથમ પ્રાથમિકતા કેટેગરી છે. તેમાં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, ઉત્કૃષ્ટ પ્રોફેસર અને સંશોધકો તેમજ કેટલાક મલ્ટીનેશનલ મેનેજર અને એક્ઝિક્યુટિવનો સમાવેશ થાય છે.
બીજી તરફ, પરિવાર આધારિત કેટેગરી મારફતે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય અરજદારો માટે સપ્ટેમ્બરમાં કેટલીક રાહત જોવા મળી છે. જોકે, EB-1 માટે રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે સ્થિતિ હજુ પડકારજનક બની રહી છે.









