રામમંદિર ચડાવા વિવાદ: તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 29 જૂને થશે સાંભળણી

નવી દિલ્હી: અયોધ્યાના રામમંદિરમાં ચડાવા અને નાણાકીય અનિયમિતતાઓના કથિત મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ ફગાવી દીધી છે. કોર્ટે અરજદારોને 29 જૂને મામલો રજૂ કરવાની સૂચના આપી છે.

આ મુદ્દે દાખલ જાહેર હિતની અરજીમાં કથિત ચડાવા ચોરી અને નાણાકીય ગેરરીતિઓની તપાસ માટે સીબીઆઈના નેતૃત્વ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) રચવાની માંગ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે સમગ્ર મામલાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ જરૂરી છે.

અરજીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની વહીવટી અને નાણાકીય કામગીરી અંગે ઉઠેલા પ્રશ્નોની તપાસ કરાવવા સાથે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને દેખરેખ તથા ઓડિટ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા નિર્દેશ આપવા પણ માંગ કરવામાં આવી છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો અરજીમાં કોઈ તકનીકી ખામી નહીં હોય તો નિયમિત પ્રક્રિયા મુજબ તેને સુનાવણી માટે યાદીમાં સામેલ કરવામાં આવશે. કોર્ટ દ્વારા તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરવામાં આવ્યો હોવા છતાં મામલાને આગામી દિવસોમાં સાંભળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અરજદારોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી તપાસ પ્રક્રિયા પૂરતી સ્વતંત્ર નથી અને એફઆઈઆર નોંધાયા વગર તપાસ શરૂ કરાઈ હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી નાણાકીય અને ફોજદારી તપાસનો અનુભવ ધરાવતી સ્વતંત્ર એજન્સી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવવાની માંગ ઉઠી છે.

આ મુદ્દો માત્ર નાણાકીય અનિયમિતતાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલો હોવાથી સમગ્ર દેશની નજર હવે 29 જૂનની સુનાવણી પર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail