કોર્ટમાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ ગંભીર ગુનો, હળવાશથી લઈ શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ન્યાયિક કાર્યવાહી દરમિયાન નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાના મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટ સમક્ષ ખોટા અથવા બનાવટી દસ્તાવેજો રજૂ કરવાથી ન્યાયિક પ્રક્રિયાની વિશ્વસનીયતા અને પારદર્શકતા પર ગંભીર અસર પડે છે.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજરિયાની બેન્ચ એક કેસની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. કેસમાં એક વ્યક્તિએ જામીન પ્રક્રિયા દરમિયાન નકલી મહેસૂલી દસ્તાવેજનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 467, 468 અને 471 હેઠળના ગુનાઓ જાહેર અને કાનૂની દસ્તાવેજોની વિશ્વસનીયતા સાથે સીધા જોડાયેલા છે. આવા ગુનાઓ માત્ર વ્યક્તિગત છેતરપિંડી પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ન્યાય પ્રણાલીની પવિત્રતા પર અસર કરે છે.

બેન્ચે વધુમાં જણાવ્યું કે સજા નક્કી કરતી વખતે કોર્ટને ગુનાની ગંભીરતા, આરોપીની ભૂમિકા, જેલમાં વિતાવેલો સમય, કેસની પરિસ્થિતિઓ અને અન્ય રાહત આપતા પરિબળો વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. તેમ છતાં, ન્યાયિક કાર્યવાહીમાં નકલી દસ્તાવેજોના ઉપયોગ સામે કડક વલણ અપનાવવું અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને ન્યાયિક પ્રક્રિયામાં સત્યતા અને વિશ્વસનીયતા જાળવવા માટેનો મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail