![]()
આ વર્ષના સામાન્ય બજેટમાં સરકાર 5 મોટી જાહેરાત કરી શકે છે. ચાલો… જાણીએ… 1. ઇન્કમટેક્સ: 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી ઇન્કમટેક્સની નવી રેજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹75 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી શકે છે. આનાથી સેલરી મેળવતા લોકોની ₹13 લાખની આવક ટેક્સ-ફ્રી થઈ જશે. અત્યારે 12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે. કેમ થઈ શકે છે આ જાહેરાત? ઉદ્યોગ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એટલે કે CIIએ સરકારને સૂચન આપ્યું છે કે વપરાશ વધારવા માટે લોકોના હાથમાં વધુ પૈસા છોડવા જરૂરી છે. ટેક્સમાં છૂટ વધવાથી લોકોનો ‘પર્ચેઝિંગ પાવર’ વધશે.
એવું માનવામાં આવે છે કે સરકાર જૂની ટેક્સ રેજિમને નવી ટેક્સ રેજિમથી બદલવા માગે છે. આ માટે નવી ટેક્સ રેજિમને ફાયદાકારક બનાવી રાખવી જરૂરી છે. આ હેતુથી નવી રેજિમમાં સેલરી મેળવનારાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 25 હજારનો વધારો કરી શકે છે. ફાયદો:મિડલ ક્લાસના હાથમાં આવનારા પૈસા વધશે. મહિનામાં થોડા હજાર રૂપિયાની બચત થઈ શકે છે, જે ખર્ચ, સેવિંગ કે રોકાણમાં કામ આવશે. 2. કિસાન સન્માન નિધિ: વાર્ષિક રકમમાં 50% વધારો થઈ શકે છે આશા છે કે પીએમ-કિસાન યોજનાની રકમ ₹3000 વધારીને વાર્ષિક ₹6000થી ₹9000 કરવામાં આવી શકે છે. છેલ્લાં 3 વર્ષથી આ વધારવાની વાત ચાલી રહી છે. કેમ થઈ શકે છે આ જાહેરાત? 2019માં યોજના શરૂ થયા પછી આ રકમમાં કોઈ ફેરફાર થયો નથી. ડિસેમ્બર 2024માં સંસદીય સ્થાયી સમિતિએ એને બમણી કરીને વાર્ષિક 12 હજાર રૂપિયા કરવાની ભલામણ કરી હતી.
ઘણાં ખેડૂત સંગઠનોનું કહેવું છે કે 2019થી મળી રહેલા 6 હજાર રૂપિયાની અસલ કિંમત 4,800થી 5,000 રૂપિયા રહી ગઈ છે, તેથી એને વધારીને 8 હજારથી 12 હજાર રૂપિયાની વચ્ચે હોવી જોઈએ.
નવેમ્બર 2025માં બિહાર સરકારે ખેડૂતોને 3 હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવાની જાહેરાત કરી હતી. આનાથી ત્યાંના ખેડૂતોને કુલ 9 હજાર રૂપિયા મળશે. ખર્ચનું ગણિત: હાલમાં લગભગ 11 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળી રહી છે. કેન્દ્ર સરકાર દર વર્ષે આના પર 60 હજારથી 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. તેને વધારીને વાર્ષિક 9 હજાર રૂપિયા કરવા પર આ ખર્ચ વધીને વાર્ષિક લગભગ 95 હજાર કરોડ થઈ જશે. ફાયદો:દેશના લગભગ 11 કરોડ ખેડૂત પરિવારોને આનો સીધો ફાયદો મળશે. 3 હજાર રૂપિયાની એક્સ્ટ્રા રકમથી ખેડૂતો પોતાની ખેતીની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરી શકશે. 3. રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 300+ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનો સરકાર નવી ટ્રેનો ચલાવીને વેઇટિંગ લિસ્ટ ખતમ કરવાની સાથે પાટાઓનું આધુનિકીકરણ કરવા માગે છે. એવામાં 300થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. છેલ્લા સામાન્ય બજેટમાં પહેલીવાર રેલવેના વિકાસ માટે 2.65 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ અત્યારસુધીનું સૌથી મોટું રેલ ફંડ છે. આ વખતે પણ એમાં વધારો થવાની આશા છે. કેમ થઈ શકે છે આ જાહેરાત? સરકાર 2030 સુધીમાં ટ્રેન રિઝર્વેશનમાં વેઇટિંગ લિસ્ટ ખતમ કરવા માગે છે. હાલમાં પીક સીઝનમાં ડિમાન્ડ અને સીટની ઉપલબ્ધતામાં લગભગ 20-25%નો તફાવત રહે છે. આ માટે ટ્રેનો વધારવાની સાથે ટ્રેક વિસ્તરણ પણ કરવું પડશે. ફાયદો:ટ્રેનોમાં દરરોજ મુસાફરી કરનારા લગભગ 2 કરોડ લોકોને આનો સીધો ફાયદો થશે. 4. પીએમ સૂર્ય ઘર યોજના: 2 KWના સોલર પેનલ પર ₹80 હજાર સબસિડી બજેટમાં 2 કિલોવોટ (KW) સુધીની સોલર સિસ્ટમ પર સબસિડી 30 હજાર પ્રતિ કિલોવોટથી વધારીને 40 હજાર કરવાની જાહેરાત થઈ શકે છે. વર્તમાન નિયમો મુજબ 2 KWની સોલર સિસ્ટમ લગાવવા પર 30 હજાર પ્રતિ કિલોવોટના હિસાબે કુલ 60 હજાર રૂપિયાની સબસિડી મળે છે. જો બજેટમાં સબસિડી 10 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ વધારવામાં આવી તો 2KWની સોલર સિસ્ટમ પર કુલ 80 હજાર રૂપિયા સબસિડી મળશે, એટલે કે 20 હજાર રૂપિયાની બચત. જ્યારે 2થી 3 KWની વચ્ચેની સિસ્ટમ માટે સબસિડી 18 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ છે. 3 KWથી ઉપરની સિસ્ટમ માટે સબસિડી 78 હજાર રૂપિયા પર મર્યાદિત છે. કેમ થઈ શકે આ જાહેરાત? કેન્દ્ર સરકારનું લક્ષ્ય માર્ચ 2026 સુધીમાં 40 લાખ અને 2027 સુધીમાં 1 કરોડ ઘરોને સોલર ગ્રિડ સાથે જોડવાનું છે. આ યોજનાથી સરકારને પોતાનું લક્ષ્ય ઝડપથી હાંસલ કરવામાં મદદ મળશે. ડિસેમ્બર 2025 સુધીમાં 19.45 લાખથી વધુ પેનલ લાગી ચૂકી છે. 7.7 લાખથી વધુ ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ચૂક્યું છે. લગભગ ₹13,926 કરોડની સબસિડી સીધી લોકોના ખાતામાં મોકલવામાં આવી છે. ફાયદો: સબસિડી વધવાથી 2 KWની સિસ્ટમ લગાવનારા પરિવારોને સીધી 20 હજાર રૂપિયાની વધારાની બચત થશે. આનાથી માત્ર પરિવારોને મફત વીજળી મળશે જ નહીં, પરંતુ તેઓ વધારાની વીજળી ગ્રિડને વેચીને કમાણી પણ કરી શકશે. 5. આયુષ્માન ભારત: 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને ફાયદો સરકાર આયુષ્માન ભારત (PM-JAY) યોજનાનો વ્યાપ વધારી શકે છે. વર્તમાનમાં 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને આ યોજનાનો ફાયદો મળી રહ્યો છે, જેને ઘટાડીને 60 વર્ષ કરી શકાય છે, સાથે જ વાર્ષિક ₹5 લાખની મફત સારવારની લિમિટને વધારી શકાય છે, જેથી કેન્સર અને હાર્ટ સર્જરી જેવી ગંભીર બીમારીઓનો ખર્ચ કવર થઈ શકે. કેમ થઈ શકે છે?
આઉટલુકના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 60+ ઉંમરના વૃદ્ધોમાંથી 82% પાસે કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ નથી, જોકે 70+ ઉંમરવાળા આયુષ્માનમાં કવર છે. 60થી 70 વર્ષની વચ્ચે એવા વૃદ્ધો, જેમની પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ નથી તેઓ ગંભીર બીમારીઓ માટે પોતાની જમાપૂંજી ખર્ચવા મજબૂર છે. એવામાં સરકાર તેમને રાહત આપી શકે છે. ફાયદો:સારવારનો વ્યાપ 60 વર્ષ થવાથી કરોડો નવા પરિવારો યોજના સાથે જોડાશે. તો સારવારની લિમિટ વધવાથી પરિવારોને મોટાં ઓપરેશનો માટે દેવું નહીં લેવું પડે. દર્દીઓને મોટી અને સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં પણ મફત સારવાર મળી શકશે. ગંભીર બીમારીઓનો ખર્ચ કવર થઈ શકશે. દેશનું ‘આર્થિક રિપોર્ટ કાર્ડ’ સંસદમાં રજૂ 2026-27માં GDP ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ; બજેટમાં ત્રણ સેક્ટર પર વધારે ફોકસ રહેશે નાણામંત્રી નિર્મલા સીતારમણે 29 જાન્યુઆરીએ લોકસભામાં દેશનું “આર્થિક રિપોર્ટ કાર્ડ” એટલે કે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં નાણાકીય વર્ષ 2026-2027માં GDP ગ્રોથ 6.8%થી 7.2%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં મોંઘવારીએ તમારી થાળી પર કેટલી અસર કરી છે, ખેતી-ખેડૂતોની સ્થિતિ શું છે અને આવનારા સમયમાં તમારા માટે નવી નોકરીઓ વધશે કે નહીં એની માહિતી પણ સર્વેમાં આપવામાં આવી છે. સર્વેમાં રક્ષાક્ષેત્ર, રેલવે અને અગ્રિકલ્ચર, આ ત્રણ ક્ષેત્રોમાં દેશનું 75% બજેટ ફાળવવામાં આવે એવી પૂરી સંભવના છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…







